તાજેતરમાં પાઠ્યપુસ્તક મંડળના વિજ્ઞાન પ્રવાહના એક પુસ્તકમાં મસમોટાં અને સાવ સર્વ સામાન્ય બાબતે પણ છબરડાંઓ સામે આવ્યાં છે. ધોરણ ૧૨ ભૌતિક વિજ્ઞાનના ભાગ ૧ અને ૨ ના પુસ્તકોમાં સમિકરણોની સજ્ઞાઓ, ખાસ નિશાનીઓ અને ફોન્ટ બદલાઇ ગયાં છે. આ બાબતે તપાસ કરતાં વિજ્ઞાન પ્રવાહના બોર્ડના ધોરણ ૧૨ માં આવી ભુલો અમુક ખાસ પ્રેસોના છાપકામ લોટમાં જ જોવા મળ્યું છે. આ ઉપરાંત ધોરણ ૬ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની કિંમતમાં પણ ફેરફારો જોવા મળી રહ્યાં છે. હકીકતે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન પુસ્તકના તમામ માધ્યમના પુસ્તકની કિંમત માત્ર ૪૫ રુપિયા નક્કી કરવામાં આવેલ છે. પરંતું હિન્દી માધ્યમના પુસ્તકમાં ૫૫ રુપિયા કિંમત કરી દેવામાં આવી છે.
આવી ખામીયુક્ત પોઝીટીવની સીડી અમુક ખાસ પ્રિન્ટીંગ પ્રેસને જાણી જોઇને બદનામ અને હેરાન કરી ખાયકી કરવા માટે બેખોફ બની પાઠ્યપુસ્તક મંડળના વર્ષોથી એકની એક જગ્યાએ ચીટકી રહેલાં આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા આવી ખામીયુક્ત સીડીઓ ભુલ ભરેલાં પુસ્તકો છાપવા માટે આપવામાં આવે છે. પ્રિન્ટીંગ પ્રેસો દ્વારા આઉટસોર્સની ગેરરીતીઓ અને છાપકામ ફાળવણી કરવા બાબતે મસમોટી રકમ માંગવા અને યેનકેન પ્રકારે હેરાન કરી પૈસાની માંગણી કરતાં આઉટસોર્સ કર્મીઓની પુરાવા સહિત લેખિત ફરિયાદો મંડળના અનેકવાર મંડળની કચેરીએ કરેલ છે. પરંતુ મંડળના ઇન્ચાર્જ નાયબ નિયામક દ્વારા આવા આઉટસોર્સ કર્મીઓને છાવરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
હકીકતે પાઠ્યપુસ્તક મંડળમાં એકપણ કાયમી ટેક્નીકલ સ્ટાફ જ નથી. આધારભુત સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના પાઠ્યપુસ્તક મંડળ જેવી અતિ મહત્વની અને કરોડોના પેપર ખરીદીથી માંડી પ્રિન્ટીંગ છાપકામ કામગીરી માત્ર આઉટસોર્સ સ્ટાફથી જ કરાય છે. કચેરી ખાતે અનુભવી અને કાયમી સિનિયર કર્મચારીઓ હોવાં છતાં તેની ઉત્પાદનની કામગીરીથી જાણી જોઇને દૂર રખાય છે. અને ઉત્પાદન શાખામાં વર્ગ – ૨ ની જગ્યાએ સરકારી નિયમો નેવે મુકી આઉટસોર્સ ભરતી કરી આવા આઉટસોર્સ કર્મીઓની આડમાં ઇન્ચાર્જ અધિકારી એકાઉન્ટ હેડ હોવાં છતાં ગેરવાજબી રીતે ઉત્પાદનનો ચાર્જ મેળવી લાખ્ખોના કોભાંડો કરતાં હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે.
છબરડાઓના અને કોભાંડો ના એ.પી સેંટર બની બેઠીલાં પાઠ્યપુસ્તક મંડળમાં ટેક્નીકલ જગ્યાઓએ કાયમી સ્ટાફની વ્યવસ્થા કરવા અને જ્યાં સુધી કાયમી સ્ટાફની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડેપ્યુટેશનથી જગ્યાઓ ભરાય તે જરૂરી છે. તથા મંડળની ખાસ અગત્યની વહીવટ, વિતરણ, ઉત્પાદન અને હિસાબી શાખામાં વર્ષોથી એકની એક જગ્યાએ રહી ગેરરીતી કરવામાં પાવરધાં બની બેઠેલા વર્ષો જુના જુના આઉટસોર્સ કર્મીઓને તાત્કાલિક રીસફલીંગ કરી દૂર કરી નવા કર્મીઓને લાવી ગેરરીતી અટકાવવાની માંગ ઊઠવા પામી છે.
રિપોર્ટ:- બિપીન જાદવ