મુન્દ્રા બી. એડ. કોલેજના તાલીમાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આપતા લાલચથી દૂર રહેવાની સલાહ અપાઈ
સાઇબર ક્રાઇમનો ભોગ બનનારે વિનાસંકોચે વહેલીતકે 100 નંબરનો સંપર્ક કરવાની અપીલ કરાઇ
મુન્દ્રા, તા.15: સરકારના ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આવે એ માટે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ (સી.આઇ. ડી. ક્રાઇમ) દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે
જે અંતર્ગત તાજેતરમાં મુન્દ્રાની બી. એડ. કોલેજમાં “સાયબર જાગૃતિ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આધુનિક યુગમાં યુવા પેઢી સૌથી વધુ સાયબર ક્રાઇમનો શિકાર બને છે તેવી માહિતી આપતા વોલેન્ટિયર સાયબર એક્સપર્ટ નિશિતભાઈ સોનીએ જણાવ્યું હતું કે મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુનાને સાયબર ક્રાઇમ તરીકે ઓળખવામાં આવે છે. અને તેનાથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
મુન્દ્રાના પોલીસ ઇન્સ્પેક્ટર હાર્દિકભાઈ ત્રિવેદીએ હળવાશ ભરી શૈલીમાં પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે ભણેલા ગણેલા લોકો જ વધારે છેતરતા હોય છે ત્યારે વધુ પડતી લાલચથી દૂર રહેવાની સલાહ આપતા સાઇબર ક્રાઇમનો ભોગ બનનારે વિનાસંકોચે વહેલીતકે ફરિયાદ નોંધાવવા નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબરનો સંપર્ક કરવાની અપીલ કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન છાંગાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ કોલેજના સાયબર ક્રાઇમ નોડલ ઓફિસર ડો. કૈલાશભાઈ નાંઢાએ કરી હતી.
રિપોર્ટ:- ઇમરાન અવાડિયા, મુન્દ્રા કચ્છ